વૈષ્ણોદેવી મંદિર પરિસરમાં ભાગદોડ, 12 લોકોનાં મોત, 13 લોકો ઘાયલ
ઘાયલ લોકોને સારવાર માટે ખસેડાયા. પીએમ મોદીએ ટ્વિટ કરીને બનાવ અંગે દુઃખ વ્યક્ત કર્યું. હાલ વૈષ્ણોદેવી યાત્રા રોકી દેવામાં આવી છે.
- માતા વૈષ્ણોદેવી ભવન ખાતે શનિવારે સવારે થઈ ભાગદોડ
- માતા વૈષ્ણોદેવી પરિસરમાં થયેલી ભાગદોડમાં 12 લોકોનાં મોત
જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)ના કટરા ખાતે આવેલા માતા વૈષ્ણોદેવી ભવન (Mata Vaishno Devi Bhawan) ખાતે શનિવારે સવારે થયેલી ભાગદોડમાં 12 લોકોનાં મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. ભાગદોડમાં 13 લોકો ઘાયલ થયાના સમાચાર છે. પોલીસ કંટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે ભાગદોડ (Stampede at Mata Vaishno Devi Bhawan)ના સમાચાર મળતાની સાથે જ રાહત અને બચાવ કામગારી શરૂ કરી દેવામાં આવી હતી. કટરા સ્થિત હૉસ્પિટલના બીએમઓ ડૉક્ટર ગોપાલ દત્તે જણાવ્યું કે અમારી પાસે 12 લોકોનાં મૃતદેહ પહોંચી ગયા છે. ભાગદોડ બાદ હાલ યાત્રા પર રોક (Mata Vaishno Devi Yatra) લગાવી દેવામાં આવી છે.
– ડીજીપીનું નિવેદન
જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંઘ (J&K DGP Dilbagh Singh)નું કહેવું છે કે, કટરા ખાતે આવેલા માતા વૈષ્ણોદેવી પરિસરમાં થયેલી ભાગદોડમાં 12 લોકોનાં મોત થયા છે જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. બનાવ રાત્રે 2:45 વાગ્યે બન્યો હતો. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે અમુક લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદમાં લોકો એકબીજાને ધક્કો મારવા લાગ્યા હતા. પરિણામ એ આવ્યું કે અહીં ભાગદોડ મચી ગઈ હતી.
– સહાયની જાહેરાત
કટરા ખાતે ભાગદોડમાં માર્યા ગયેલા લોકો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ જણાવ્યું છે કે, ભાગદોડમાં માર્યા ગયેલા લોકોનાં પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ બનાવમાં ઘાયલ થયેલા લોકોને 2-2 લાખ રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી પણ માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા તેમજ ઘાયલોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.
– જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલનું નિવેદન
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ બનાવ અંગે નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યુ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરીને તેમને બનાવ અંગે જાણકારી આપી છે. વડાપ્રધાન મોદીએ શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે. આજની ભાગદોડ અંગે તપાસના આદેશ આપી દેવાયા છે. માતા વૈષ્ણોદેવી મંદિર પરિસરમાં ભાગદોડથી થયેલા મોતથી ખૂબ દુઃખી છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના, ઘાયલ લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.
– પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
ઘટના અંગે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ તેમણે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાને ફોન કરીને બનાવ અંગે માહિતી મેળવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, “માતા વૈષ્ણોદેવી ભવન ખાતે થયેલી ભાગદોડમાં લોકોનાં જીવ ગયાના સમાચાર દુઃખી કરનારા છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહા સાથે વાતચીત કરીને સ્થિતિ અંગે માહિતી મેળવી છે.”
Extremely saddened by the loss of lives due to a stampede at Mata Vaishno Devi Bhawan. Condolences to the bereaved families. May the injured recover soon. Spoke to JK LG Shri @manojsinha_ Ji, Ministers Shri @DrJitendraSingh Ji, @nityanandraibjp Ji and took stock of the situation.
— Narendra Modi (@narendramodi) January 1, 2022

– રાહુલ ગાંધીનું ટ્વિટ
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દુર્ઘટના પર ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ લખ્યું છે કે, “માતા વૈષ્ણોદવી મંદિરમાં થયેલી ભાગદોડની દુર્ઘટના ખૂબ જ દુ:ખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી શોક સંવેદના. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.”
माता वैष्णोदेवी मंदिर में हुई भगदड़ की दुर्घटना दुखद है।
मृतकों के परिवारजनों को मेरी शोक संवेदनाएँ। घायलों के जल्द स्वस्थ होने की कामना है।
🙏
— Rahul Gandhi (@RahulGandhi) January 1, 2022

– રાજનાથ સિંહનું ટ્વિટ
રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને લખ્યું છે કે, “માતા વૈષ્ણોદેવી ખાતે ભાગદોડનો બનાવ હચમચાવી દે તેવો છે. લોકોના મોતથી ખૂબ દુઃખ થયું છે. આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.”

– અમિત શાહનું ટ્વિટ
“માતા વૈષ્ણોદેવી મંદિર ખાતે થયેલી દુઃખદ દુર્ઘટનાથી હૃદય ખૂબ જ વ્યથિત છે. આ અંગે મેં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંહા સાથે વાતચીત કરી છે. તંત્ર ઘાયલોને સારવાર પહોંચાડવા માટે સતત કાર્યરત છે. બનાવમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.”

હેલ્પલાઇન નંબર જાહેર:
ભાગદોડના બનાવ અંગે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ હેલ્પલાઈન નંબર:
01991-234804
01991-234053
અન્ય હેલ્પલાઈન નંબર:
પીસીઆર કટરા – 01991232010/9419145182
પીસીઆર શાસન – 0199145076/9622856295
ડીસી કાર્યાલય કંટ્રોલ રૂમ – 01991245763/9419839557
ઉત્તરાયણ પહેલા બાળકના જીવનની દોરી કપાઇ, માતા-પિતા માટે ચેતવણી…