ગૂગલ બન્યું પુનઃમિલનનું માધ્યમ: ઉપલેટાની હોટલમાં 11 વર્ષથી રહેતો માનસિક અસ્થિર વ્યક્તિ છત્તિસગઢ રાજ્યનો નીકળ્યો, 18 વર્ષ બાદ પરિવાર સાથે મિલાપ
- હોટલના માલિકે 11 વર્ષ સુધી સાચવ્યો અને પોતાનું નામ પણ જાણતો નહોતો સૌ કોઈ તેને રાજુ તરીકે ઓળખતા અને સાચુ નામ સનતકુમાર સાહુ નીકળ્યું
અંદાજે 18 વર્ષ બાદ છત્તિસગઢ રાજ્યના બીલાશપુર જિલ્લાના મસ્તુરી તાલુકાના મળાઈ ગામનો સનતકુમાર સાહુ ઘરેથી ભૂલો પડી ગયો હતો. ભૂલો પડતા પડતા તે 11 વર્ષ પહેલા રાજકોટના ઉપલેટાના ડુમીયાણી ટોલ પ્લાઝા પાસે આવેલી સીયારામ હોટેલે આવી પહોંચ્યો હતો. બાદમાં હોટલ માલિક પ્રવીણભાઇ વસરાએ તેને સાચવ્યો અને તેમના ભાઈ ભૂપતભાઈએ ગૂગલના આધારે તેમના પરિવાર સુધી પહોંચાડ્યો. સનતકુમારનો પરિવાર તેમને લેવા માટે ઉપલેટા આવ્યો ત્યારે ભાવુક દૃશ્યો જોવા મળ્યા હતા. ગૂગલની ટેકનોલોજીના સહારે 18 વર્ષ બાદ એક પરિવારને તેમનો ખોવાયેલો વ્યક્તિ મળ્યો.
સનતકુમાર પરિવારને કેવી રીતે મળ્યો તેનો વાંચો આખો ઘટનાક્રમ:
ઉપલેટાના ડુમીયાણી ટોલ પ્લાઝા પાસે આવેલી સીયારામ હોટલમાં 11 વર્ષ પહેલા એક ભિક્ષુક અને માનસિક અસ્થિર જેવો દેખાતો એક વ્યક્તિ હોટલ ખાતે રખડતો આવી પહોંચ્યો હતો. હોટેલના માલિક પ્રવીણભાઈએ હોટલ પાસે આવેલી વ્યક્તિને બોલાવી અને તેમને જમાડ્યો હતો. બાદમાં સંપૂર્ણ સ્વસ્થ કરી અને તેમની દેખાતી ખરાબ સ્થિતિને સુધારી હતી અને પોતાને ત્યાં આશરો આપ્યો હતો. માનસિક અસ્થિર મગજની આ વ્યક્તિને પોતાને ત્યાં રેહવા અને જમવાની વ્યસ્થા કરી આપી હતી. હોટલમાં આ વ્યક્તિને હોટલના સૌ કોઈ વ્યક્તિઓ રાજુ તરીકે બોલાવતા અને ઓળખતા હતા. કારણ કે આ વ્યક્તિ પોતે કોણ છે અને ક્યાંથી આવ્યો છે અને તેમના પરિવારમાં કોણ-કોણ છે એ કોઈ પણ બાબત સ્પષ્ટ રીતે બતાવી કે જણાવી નહોતો શકતો. આથી આ હોટલના માલિકે તેમને રહેવા, જમવા સહિતની તમામ સુવિધાઓ પોતાની હોટેલમાં આપી હતી.
સુરેન્દ્રનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો
રાજુ ધીમે-ધીમે સૌ કોઈ સાથે રહેવા લાગ્યો:
હોટેલમાં આવ્યા બાદ અહીંયાં જ રહેતા અને રાજુ તરીકે ઓળખતા વ્યક્તિની માનસિક સ્થિતિ સારી નહોતી. રાજુ ક્યારેક અતિ ક્રોધિત થઇ જતો અને બાદમાં હોટલનો સ્ટાફ તેને સમજાવતા અને શાંત પાડી દેતા હતા. બાદમાં રાજુ ધીમે-ધીમે સૌ કોઈ સાથે રહેવા લાગ્યો. આટલા વર્ષો સુધી સમય વિતાવનાર રાજુને હોટલમાં કામ કરતા લોકો સમયાંતરે તેમનું અસલી નામ અને પરિવાર વિશે પૂછતાં હતા. પરંતુ રાજુ પોતે બતાવી કે જણાવી શકે તેમ નહોતો. બાદમાં હોટલના જ અન્ય એક માલિકે નાના બાળકની જેમ સમજાવી ધીમે ધીમે તેમની પાસેથી માહિતીઓ યાદ કરાવી અને મેળવી હતી. જેમાં આ રાજુ અન્ય રાજ્યનો હોવાનું સામે આવ્યું હતું. બાદમાં ટેકનોલોજીની મદદથી તેમના પરિવારને શોધીને તેમના પરિવારનો સંપર્ક સાધ્યો હતો.

પહેલા સૂર્યકુમાર સાહુ નામ સામે આવ્યું પણ તે સાચુ નહોતું:
તપાસ દરમિયાન છતીશગઢના લુથરાશરીફ ગામની વિગત મળી હતી. આ ગામની એવી વિગતો સામે આવી હતી કે આ ગામની અંદર એક મેળો ભરાય છે ત્યારે આ વ્યક્તિએ પણ આ ગામનો અને આ મેળાનો ઉલ્લેખ કર્યો હતો. બાદમાં ફરી અંદાજ લગાવવામાં આવ્યો હતો કે રાજુ આ વિસ્તારનો જ હશે. ત્યારે આ બાબતે વધુ તપાસ કરતા રાજુએ પોતાનું નામ સુર્યકુમાર સાહુ જણાવ્યું હતું. ત્યારે આ નામ એમનું સાચું ન હોવાનું પણ સામે આવ્યું હતું. બાદમાં આ ગામ વિસ્તારના સાહુ નામના વ્યવસાય ધરાવતા વેપારીઓનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો. જેમાં ગૂગલ મેપની અંદર ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. જેમાં બાજુમાં કુકદા ગામની એક મોબાઈલ ફોનની દુકાનના વ્યક્તિનો સંપર્ક થયો હતો.
મોબાઈલની દુકાન ધરાવનારે સ્થાનિક વ્યક્તિનો સંપર્ક કરી આપ્યો:
મોબાઈલની દુકાનના માલિકની મદદ માગવામાં આવી હતી. બાદમાં તેણે મળાઈ ગામના સ્થાનિક વ્યક્તિનો સંપર્ક કરી આપ્યો હતો અને તેમને રાજુના ફોટા સોશિલ મીડિયાના માધ્યમથી મોકલ્યા હતા, બાદમાં જાણવા મળ્યું કે મળાઈ ગામનો જ છે અને તેમના પરિવાર સાથે વીડીયો કોલ દ્વારા વાત કરવામાં આવી હતી. પરિવાર દ્વારા તેમનું ઓળખકાર્ડ મોકલતા ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિનું નામ સનતકુમાર સાહુ છે અને તે મળાઈ ગામનો જ વતની છે.

પોતાના ઘરેથી સનતકુમાર 18 વર્ષ પહેલા ભૂલો પડ્યો હતો
ઉપલેટાની આ હોટલમાં રાજુ તરીકે લોકો જેમને ઓળખાતા તે વ્યક્તિનું નામ સનત કુમાર સાહુ છે અને તે છત્તિસગઢ રાજ્યના બીલાશપુર જિલ્લાના મસ્તુરી તાલુકાના મળાઈ ગામનો હોવાનું સામે આવ્યું હતું. બાદમાં તેમના પરિવાર પાસેથી જાણવા મળ્યું કે, સનતકુમાર માનસિક અસ્થિર મગજનો છે અને પોતાના ઘરેથી અંદાજિત 18 વર્ષ પહેલા ભૂલો પડી ગયો હતો. ત્યારે માનસિક અસ્થિર આ વ્યક્તિના પરિવાર વિશે એવી વિગતો સામે આવી છે કે આ સનતકુમાર સાહુ પરિણીત છે અને જ્યારે તે પોતાના ઘરેથી વિખૂટો પડી ગયો હતો ત્યારે તેમને બે સંતાનો હતા. જેમાં એક સંતાન તો માત્ર દસ મહિનાનું જ હતું.
સનતકુમારને સંતાનમાં બે સંતાન પણ છે:
સનતકુમારના પરિવારમાં તેમના માતા-પિતા, ભાઈ-ભાભી, ભત્રીજા, પત્ની, બે સંતાનો છે. સનતકુમારના પિતાનું તેમની ચિંતામાં જ ચાર વર્ષ પહેલા અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. પરિવારે જણાવ્યું હતું કે, સનતકુમારને શોધવા માટે પરિવારે અંદાજિત 3 વર્ષ સુધી સખત મહેનત કરી હતી. બાદમાં પણ તેમને કોઈ પત્તો ન મળ્યો હતો. ત્યારે 18 વર્ષ બાદ મળાઈ ગામના સનતકુમારને લેવા પરિવાર તુરંત ગુજરાત આવી પહોંચ્યા હતો. પરિવાર સાથેના મિલન સમયે હોટલ માલિક, સ્ટાફ અને સનતકુમારના પરિવારના સદસ્યો ભાવુક થયા હતા.
Yeh Rishta Kya Kahelata Hai: પ્રણાલી રાઠોડ ટેલીવિઝન સેટ પર ઘાયલ થઈ ગઈ
18 વર્ષ બાદ રાજુને પરિવાર મળતા હું ખૂબ જ ખુશઃ હોટલ માલિક:
સીયારામ હોટલના માલિક પ્રવીણભાઈ વસરાએ જણાવ્યું હતું કે, આજથી 11 વર્ષ પહેલા આ વ્યક્તિ અહીં આવી પહોંચ્યો હતો ત્યારે તેમની સ્થિતિ બહુ ખરાબ હતી. બાદમાં મેં તેમને જમવાનું પૂછતા તે ભૂખ્યો હોવાનું જણાતા જમાડ્યો હતો. ખરાબ હાલતમાં આ વ્યક્તિની સ્થિતિ વ્યવસ્થિત કરી હતી. બાદમાં માનસિક અસ્થિર મગજનો આ વ્યક્તિ ઉગ્ર સ્વભાવનો હતો. જેમાં તેમને અમે બાળકની જેમ સમજાવી અને માનવીને શાંત કરતા હતા. અહીં તેમના રહેવા અને જમવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. અંતે 18 વર્ષ બાદ તેમનો પરિવાર મળતા ખૂબ આનંદ થયો છે.
પ્રવીણભાઈના ભાઇ ભૂપતભાઈએ ખૂબ મહેનત કરી:
પ્રવીણભાઈના ભાઇ અને રાજુને પરિવાર સુધી પહોંચાડવામાં ગૂગલમાં તપાસ કરનાર ભૂપતભાઈ વસરાએ જણાવ્યું હતું કે, ગૂગલ ટેકનોલોજીની મદદથી તપાસ અને સંસોધન શરૂ કર્યું હતું. જેમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, રાજુનું ગામ છત્તિસગઢ રાજ્યના બીલાશપુર જિલ્લાના મસ્તુરી તાલુકાનું મળાઈ ગામ છે. સમયાંતરે રાજુને પૂછવામાં આવતું ત્યારે તે અમુક ગામના નામ બોલતો હતો. જેમાં ભાથાપરા, ધનિયા, સિપત સહિતના ગામનો નામ બોલતો હતો. ત્યારે આ પરથી સંશોધન દરમિયાન એવું તારણ કાઢવામાં આવ્યું કે આ વ્યક્તિ આ વિસ્તારનો હશે. આથી અમોએ સ્થાનિક લોકોના સંપર્કો કર્યા બાદ તેમના પરિવાર સાથે સંપર્ક થયો હતો.