હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે, સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરશે
Hardik to join BJP: કોંગ્રેસના પૂર્વ કાર્યકાર પ્રમુખ હાર્દિક પટેલે 17મી મેના રોજ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું હતું. હાર્દિકે પોતાના રાજીનામા પત્રમાં કોંગ્રેસ પાર્ટી અને તેના શીર્ષ નેતૃત્વ તેમજ પ્રાદેશિક નેતૃત્વ પર ગંભીર આક્ષેપ કર્યાં હતા.
- ગુજરાતના રાજકારણને લઇને સૌથી મોટા સમાચાર
- આગામી 2જી જૂનેહાર્દિક પટેલ જોડાશે ભાજપમાં
- R પાટીલની હાજરીમાંહાર્દિક પટેલ કરશે કેસરિયા
ગાંધીનગર: હાર્દિક પટેલ (Hardik Patel) આખરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તે સ્પષ્ટ થઈ ગયું છે. આગામી બીજી જૂનના રોજ હાર્દિક પટેલ બીજેપીના પ્રદેશ કાર્યાલય કમલમ (Kamalam) ખાતે બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (C.R.Patil)ની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. વિવિધ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હાર્દિકના બીજેપી પ્રવેશ વખતે કોઈ કેન્દ્રીય મંત્રી હાજર રહે તેવી શક્યતા નહિવત છે. એટલે કે હાર્દિક બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાર્દિકને બીજેપીમાં જોડવા માટે પહેલા જ બીજેપીના હાઇ કમાન્ડે લીલીઝંડી આપી દીધી હતી. હવે હાર્દિક બીજી જૂને પાર્ટીમાં જોડાશે તે વાત સામે આવી છે.
હાર્દિકે વ્યક્તિગત સ્વાર્થ માટે સમાજનો દુરુપયોગ કર્યો: લાલજી પટેલ
હાર્દિક પટેલના બીજેપીમાં જોડાવવા મામલે એસપીજીના લાલજી પટેલે નિવેદન આપ્યું છે કે, હાર્દિક પટેલે વ્યક્તિગત સ્વાર્થ માટે સમાજનો ઉપયોગ કર્યો છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો ત્યારે પણ લોકોમાં રોષ હતો. બીજેપીમાં જોડાશે ત્યારે પણ રોષ જોવા મળશે. હાર્દિકે ભૂતકાળમાં મંચ પરથી એવા નિવેદનો કર્યાં છે કે તે કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવાનો નથી. હજુ પાટીદાર સમાજના બે મુદ્દા પડતર છે. 14 શહીદ યુવાનોને ન્યાય નથી મળ્યો. આમ છતાં હાર્દિક વ્યક્તિગત સ્વાર્થ માટે ભાજપમાં જોડાઈ રહ્યો છે.”
હાર્દિકનું કોંગ્રેસમાંથી રાજીનામું
હાર્દિક પટેલે 17મી મેના રોજ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું હતું. હાર્દિકે રાજીનામું ધરતાની સાથે સોશિયલ મીડિયા પર એક પત્ર લખીને કોંગ્રેસના નેતૃત્વ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યાં હતા. હાર્દિક પટેલે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું હતું કે, કોંગ્રેસના શીર્ષ નેતૃત્વને ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે નફરત છે. સાથે જ હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓને પણ આડેહાથ લીધા હતા. હાર્દિકે પત્રમાં એવો આક્ષેપ કર્યો હતો કે ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ પોતાના સ્વાર્થ માટે વેચાયા છે. એક પ્રસંગે હાર્દિકે એવું પણ લખ્યું હતું કે પ્રદેશ નેતાઓને લોકોના પ્રશ્નો કે ગુજરાતની કોઈ ચિંતા નથી પરંતુ દિલ્હીથી આવતા લોકને ચિકન સેન્ડવિચ મળી કે નહીં તે જોવામાં તેઓ વ્યસ્ત રહે છે.
હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાવાની શકયતા

હાર્દિક પટેલને શુભેચ્છા: અલ્પેશ કથિરિયા
હાર્દિકના બીજેપીમાં જોડવવાના સમાચાર પર પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, “હાર્દિક કૉંગ્રેસમાંથી મુક્ત થયા ત્યારબાદ ઘણી ચર્ચાઓ હતી. નવા પક્ષ, નવી ઈનિંગ અને નવા પડકારો માટે હાર્દિક પટેલને શુભેચ્છા. હાર્દિક પટેલ સાથે મારી કોઈ વાતચીત નથી થઈ. મીડિયાના માધ્યમથી મને જાણકારી મળી છે. પહેલા હાર્દિક અને બીજેપી સામ સામે હતા, હવે સાથે સાથે હશે તે અંગે બીજેપી અને હાર્દિકે વિચારવાનું છે.”