મેરા હત્યાકેસ: કપૂત; રોકડા રૂ.2 લાખ અને જમીન માટે પુત્રે નિદ્રાધીન માતાપિતાને કાયમ માટે સુવાડી દેવા કાવતરું ઘડ્યું હતું
- જિલ્લા પોલીસવડાએ હત્યાનાં કારણો સાથેની વિગતો જાહેર કરી : વધુ નામો ખૂલવાની શંકા
- જમીન વેચતાં આવેલા 8 લાખમાંથી ભગતે 3 સંતાન વચ્ચે 4.50 લાખ વહેંચ્યા
- કાર લીધા પછી વધેલા 2 લાખ પર દીકરાની દાનત બગડેલી હતી
- પાલા ભગતને ગળા પર ગંભીર ઈજા હોવાથી ICUમાં છે, હજી સુધી એમનું નિવેદન લઈ શકાયું નથી
મેરા હત્યાકેસમાં વધુ ને વધુ ખુલાસા બહાર આવી રહ્યા છે, જેમાં હત્યારા પુત્રે બંને માતા-પિતાને મોતને ઘાટ ઉતારી દઉં તો રૂ. 2 લાખ અને બધી જમીન મળી જાય એટલે ફરિયાદી પુત્રે જ માતા-પિતાને ઊંઘમાં જ પતાવી દેવાનું કાવતરું રચ્યું હતું. આ કેસમાં હજી વધુ નામો ખૂલવાની આશંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મેરા હત્યાકેસમાં ઘરની ઓસરીમાં સૂતેલા આધેડ દંપતી પર ઘાતકી હુમલામાં વૃદ્ધ મહિલા ગજરાબહેનનું ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હતી જ્યારે વૃદ્ધ પાલા ભગતને ગળા પર ગંભીર ઈજા પહોંચતાં હૉસ્પિટલ લઈ જવાયા હતા.
જ્યાં તેઓ આઇસીયુ વિભાગમાં હોવાની સાથે બોલી શકવાની સ્થિતિમાં ન હોવાથી એમનું નિવેદન લઈ શકાયું નહોતું. બીજી બાજુ આ હત્યાકેસમાં ફરિયાદી બનેલા બાબુ વાઘેલાએ ફરિયાદમાં અને એણે આપેલા નિવેદનમાં વિરોધાભાસ આવતાં દિવ્ય ભાસ્કરે પણ એના પર વિસ્તૃત વિગતો સાથેની સચોટ માહિતી આપતાં પોલીસે પણ એ દિશામાં તપાસ હાથ ધરી હતી.
અને બાદમાં પાલાભાઈના નિવેદનના આધારે પોલીસે આ કેસમાં ફરિયાદી બનેલા હત્યારા પુત્ર બાબુ વાઘેલાની અટક કરી સઘન પૂછપરછ કરતાં એ ભાંગી પડ્યો હતો. અને પોલીસ તપાસમાં એણે કબૂલ્યું હતું કે બંને માતા-પિતાને મોતને ઘાટ ઉતારી દઉં તો રૂ. 2 લાખ અને બધી જમીન મળી જાય એટલે ફરિયાદી પુત્રે જ માતા-પિતાને ઊંઘમાં જ પતાવી દેવાનું કાવતરું રચ્યું હતું. આ કેસમાં હજી વધુ નામો ખૂલવાની આશંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ભગતે સંયુક્ત માલિકની જમીન 8 લાખમાં જમીન વેચી હતી :
પાલા ભગતે સંયુક્ત માલિકીની જમીન વેચતાં રૂ. 8 લાખ આવ્યા હતા. જેમાં બંને દીકરીને દોઢ-દોઢ લાખ આપ્યા હતા. પોતે દોઢ લાખની ગાડી લીધી, દોઢ લાખ એમપી રહેતા બીજા દીકરાને આપ્યા હતા. વધેલા 2 લાખ ભગતે પોતાની પાસે રાખ્યા હતા. એ 2 લાખ પર પુત્ર બાબુની નજર હતી.
બાકીની જમીન પત્ની, બાબુના પુત્રના નામે વીલ કરી હતી :
પાલા ભગત પાસે ગામમાં પણ બીજી જમીન હતી. જે પોતાની પત્ની અને દીકરા બાબુના પુત્રના નામે વીલ કરી હતી. આથી બાબુએ પ્લાન બનાવ્યો કે, માતા-પિતાને મોતને ઘાટ ઉતારી દઉ તો બાપા પાસે પડેલા 2 લાખ મને મળે, માતાનું મોત થશે તો બધી જમીન મારા દીકરાના નામે થઇ જશે.
હત્યારો પુત્ર રાત્રે 2 વાગ્યા સુધી ઓનલાઈન હતો :
મેરા ચકચારી હત્યાકેસમાં હત્યારો પુત્ર બાબુ વાઘેલા રાત્રે 2 વાગ્યા સુધી ઓનલાઇન હતો. આથી આ હત્યાકેસમાં વધુ નામો ખુલવાની આશંકા સેવાઇ રહી છે. આજે જિલ્લા પોલિસ વડા હરેશ દૂધાત હત્યારાને રજૂ કરી પ્રેસ કોન્ફરન્સ સાથે વધુ ખુલાસાઓ કરવાના છે.