હવામાન વિભાગની આગાહી: 24થી 26 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે તેમજ અમદાવાદ-ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની સંભાવના
- છેલ્લા 24 કલાકમાં 30 તાલુકામાં વરસાદ ખાબક્યો
- ગુજરાતમાં ચાલુ સીઝનનો માંડ ચાર ટકા વરસાદ થયો
- પાંચ જિલ્લાને બાદ કરતાં 28 જિલ્લા કોરાધાકોર
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચેક દિવસથી દૈનિક છૂટાછવાયો, પણ સારો વરસાદ પડી રહ્યો છે. બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 24 અને 25 જૂને વલસાડ, નવસારી, ડાંગ, વાપી, સુરત, દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. 24મી જૂને થંડરસ્ટ્રોમ સાથે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં વરસાદની હજુ રાહ જોવી પડશે. છેલ્લા 24 કલાકમાં 30 જિલ્લા અને તાલુકાઓમાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના વિજયનગરમાં 42 મિમી, વિરમગામમાં 23 મિમીથી વધુ વરસાદ પડ્યો છે.
છેલ્લા 24 કલાકમાં થયેલો વરસાદ
તાલુકો |
વરસાદ (મિમી) |
વિજયનગર |
42 |
વિરમગામ |
23 |
મોડાસા |
19 |
પોશિના |
15 |
દેસર |
10 |
આહવા |
7 |
સતલાસણા |
7 |
ખેડબ્રહ્મા |
7 |
ગળતેશ્વર |
6 |
તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના
ગાંધીનગર ખાતે રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી, જેમાં IMDના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસમાં સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે, જ્યારે વલસાડ જિલ્લામાં આગામી તા.24મી જૂનથી 26મી જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. રાહત કમિશનરે નવસારી જિલ્લામાં એક તથા અન્ય જિલ્લાઓમાં NDRF અને SDRFની ટીમોને વરસાદની આગાહી મુજબ મૂકવા સૂચન કર્યું હતું.
ઝોન પ્રમાણે વરસાદની ટકાવારી
કચ્છ |
1.40% |
ઉત્તર ઝોન |
3.30% |
દક્ષિણ ઝોન |
4.16% |
મધ્ય ઝોન |
2.91% |
સૌરાષ્ટ્ર |
5.50% |
રાજ્યમાં કુલ |
4.10% |
હાલમાં રાજ્યમાં બે જળાશય વોર્નિંગ પર
કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે અંદાજિત 10,24,422 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 20 જૂન 2022 સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 6,89,472 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 11.78 ટકા વધુ વાવેતર થયું છે. સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં 1,49,972 MCFT પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 44.89 ટકા છે. રાજ્યનાં 206 જળાશયોમાં 1,88,241 MCFT પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 33.72 ટકા છે. હાલમાં રાજ્યમાં બે જળાશય વોર્નિંગ પર છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતની દમણગંગા નદીમાં વરસાદને કારણે પાણીની સારી આવક થઇ છે.
5 જિલ્લાને બાદ કરતાં બાકીના 28 જિલ્લામાં વરસાદની ઘટ
રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે. જોકે વરસાદનું જોર નરમ પડતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે હજુ 70 ટકા વિસ્તારમાં વાવણી પણ બાકી છે. મંગળવારે દક્ષિણ ગુજરાતના ગણતરીના તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં સિવાય કોઈ વધુ મહેર નથી થઈ. એને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે, કારણ કે ચોમાસું બેઠાને 9 દિવસ વીતવા છતાં હજુ 200 જેટલા તાલુકામાં વાવણી થઈ શકી નથી. રાજ્યમાં હજુ સીઝનનો માંડ 4 ટકા વરસાદ વરસ્યો છે. 5 જિલ્લાને બાદ કરતાં બાકીના 28 જિલ્લામાં વરસાદની ઘટ છે. ચોમાસું હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાને બાદ કરતાં ક્યાંય આગળ વધ્યું નથી.