Monitoring Committee meeting – કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને ચોટીલા ખાતે દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ
- સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાનાં લોકો સુધી સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવા જણાવતા કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી
કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષસ્થાને આજરોજ તાલુકા સેવા સદન-ચોટીલા ખાતે દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના જુદાં-જુદાં વિભાગો હેઠળનાં યોજનાકીય વિકાસ કામોની વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. વિવિધ યોજનાઓના લાભ જનસમુદાયને સમયસર મળી રહે તે રીતે સુચારૂ આયોજન હાથ ધરવા મંત્રીશ્રીએ સંબધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન-સુચનો આપ્યા હતા.
આ બેઠકને સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાએ જણાવ્યું હતું કે, સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાનાં લોકો સુધી સમયસર પહોંચે, સાચા અર્થમાં લોકો આત્મનિર્ભર બને અને જિલ્લો વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચકક્ષાની સિધ્ધિ પ્રાપ્ત કરે તે દિશામાં સઘન પ્રયાસો કરવા જણાવ્યું હતું. જિલ્લામાં ખનીજ ચોરીની ફરિયાદો, વીજળીને લગતી સમસ્યાઓ, ગ્રામ્ય વિસ્તારમાં રોડ-રસ્તા, આરોગ્ય અને પાણી સહિતની સમસ્યાઓ, આધારકાર્ડમાં સુધારા-વધારા સહીતના પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરવા માટે જરૂરી પગલા લેવા વિવિધ વિભાગોને સુચના આપી હતી. જિલ્લામાં મનરેગા યોજના હેઠળ કરવામાં આવતા કામો, સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત થયેલી કામગીરી તેમજ અન્ન નાગરિક પુરવઠા, આરોગ્ય, શિક્ષણ, નગરપાલિકા વિસ્તાર સહિતના ક્ષેત્રોમાં જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરતા અમલીકરણ અર્થે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.
જિલ્લા કલેક્ટરશ્રી કે.સી સંપટે આ બેઠકમાં જિલ્લામાં ચાલતા યોજનાકીય કામો સત્વરે પૂર્ણ કરવા સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી
આ બેઠકમાં ચોટીલા ધારાસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હરેશ દૂધાત, ચોટિલા પ્રાંત અધિકારીશ્રી પ્રિયાંક ગલચર સહિત સંબધિત વિભાગોના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.