અમેરિકાના સેરિટોઝ સિટી ખાતે ભારતના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ, ધ્વજ વંદન કરી ભારતની વિકાસ ગાથા યાદ કરાઈ
ભારતમાં આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે વિદેશમાં વસતા ભારતીયો તેમને ત્યાં પણ ભારતીય પ્રજાસત્તાક દિનની ઉજવણી કરતા હોય છે, અમેરિકાના સેરિટોઝ સિટી ખાતે ભારતીયો દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા
- ભારતમાં આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી
- અમેરિકાના સેરિટોઝ સિટી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી
- ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે 72 વર્ષ પૂરા કરી 73માં વર્ષમાં પ્રવેશ
ભારતમાં આજે પ્રજાસત્તાક દિન (Republic Day) ની ઉજવણી થઈ રહી છે ત્યારે વિદેશમાં વસતા ભારતીયો તેમને ત્યાં પણ ભારતીય પ્રજાસત્તાક દિનની ઉજવણી કરતા હોય છે. અમેરિકાના સેરિટોઝ સિટી (Cerritos City) ખાતે ભારતીયો દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા.
લોસ એન્જલસના સેરિટોઝ સિટીના ટાઉન સેન્ટર હોલ ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સમારોહમાં ભારતના એમ્બેસેડર ડો. ટી.વી.નાગેન્દ્ર પ્રસાદ, એનાહેમ સિટીના મેયર હેરી સીધુ, સેરિટોક સિટીના પોલીસ ચીફ કેપ્ટન મિહન ડિન, ઉદ્યોગપતિ અને અવધેશ અગ્રવાલ, ઈન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રેસિડેન્ટ તથા લેબોન હોસ્પિટાલિટી ગૃપના યોગી પટેલ, ઇન્ડિયન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના ચેરમેન પરીમલ શાહ તથા સુરેશ મોદી સહિત મોટી સંખ્યામાં ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહના મુખ્ય મહેમાન ભારતીય કોન્સ્યુલેટ જનરલ ડૉ. ટી.વી. નાગેન્દ્ર પ્રસાદે આ સમારોહના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારતના પ્રજાસત્તાક દિન પર્વની સર્વેને શુભેચ્છા પાઠવી હતી. ભારતે સાત દાયકાના પ્રજાસત્તાક દેશ તરીકે કરેલા વિકાસ અને પ્રગતિની એમણે ઝલક આપી હતી. ભારત આગામી 15 ઓગસ્ટે આઝાદીના 75 વર્ષ પૂરા કરી રહ્યો છે તેની વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 75 સપ્તાહ સુધી થનારી ઉજવણીની પણ એમણે વાતો કરી હતી. હેરી સિધુ, કેપ્ટન મિહન ડિને પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં. તેમણે અમેરિકાના વિકાસમાં ભારતીય મૂળના લોકોનું યોગદાન છે તેને બિરદાવ્યું હતું.
લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલે જણાવ્યું હતું કે ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે 72 વર્ષ પૂરા કરી 73માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ભારતે પ્રગતિ કરી છે તેમાં ભારતીયોનું મહત્વનું પ્રદાન રહ્યું છે. એક પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ભારતે અનેકવિધ ધર્મ, પ્રદેશ સાથે પણ કઈ રીતે એક રહીને વિકાસ કરી શકાય તેનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ બધું ભારતીયોની લોકતાંત્રિક ભાવનાને કારણે બન્યું છે. પરિમલ શાહે પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રગાન સાથે સમારોહની પૂર્ણાહૂતિ થઈ હતી.
સવા હોસ્પિટલનાં ડોક્ટર્સ દ્વારા બેઝીક લાઈફ સપોર્ટ સેમીનાર યોજાયો.