વિકાસ મોડેલની વરવી વાસ્તવિકતા: લખતરની વિઠ્ઠલગઢ પ્રા. શાળાના વિદ્યાર્થીઓને પાણી અને કાદવ-કીચડમાંથી સ્કૂલે જવું પડે છે
- ગુજરાતના વિકાસ મોડેલની વરવી વાસ્તવિકતા : 1 કરોડના ખર્ચે શાળાનું બિલ્ડિંગ બન્યું હતું
લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર તાલુકાનું વિઠ્ઠલગઢ ગામ આવેલું છે. ત્યાંની પ્રાથમિક શાળામાં 1થી 8 ધોરણમાં 480 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. તે પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ અંદાજે એકાદ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાનાં હસ્તે કરવામાં આવ્યું હતું. મંત્રીએ લોકાર્પણ તો કરી નાંખ્યું પરંતુ શાળાએ જવાના રસ્તાનું શું? આ એક જ સવાલ શાળાએ જતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ઉદભવી રહ્યો છે.
હાલમાં પડેલા વરસાદને કારણે વિઠ્ઠલગઢ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાણી અને કીચડમાંથી પસાર થઈને શાળાએ અભ્યાસ કરવા જવું પડે છે. જેથી વાલીઓમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોઇ ભયની લાગણી ફેલાઇ છે. ત્યારે, ઉપરોક્ત તસવીર ગુજરાત સરકારના વિકાસ મોડેલ ની એક વરવી વાસ્તવિકતા ખુલ્લી પાડી રહી છે.