Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા પોલીસ દ્વારા આયોજિત લોનમેળા અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો

Organization of Loan Mela – સુરેન્દ્રનગર ખાતે જિલ્લા પોલીસ દ્વારા આયોજિત લોનમેળા અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો

Google News Follow Us Link

નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાના અઘ્યક્ષ સ્થાને પોલીસ હેડ ક્વાર્ટર, સુરેન્દ્રનગર ખાતે લોનમેળા અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ લોનમેળા અંતર્ગત સરકારે વ્યાજખોરોના દૂષણ વિરુદ્ધ શરૂ કરેલી ઝુંબેશના ભાગરૂપે વ્યાજખોરોનો ભોગ બનેલા લોકોને બેંક લોન સહાય સહિતની લોન આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, પોલીસનું કાર્ય કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ પોલીસ લોકોની સેવા માટે ખડે પગે હોય છે.

કોરોના કાળમાં આપણે સૌએ પોલીસની ઉમદા કામગીરી જોઈ છે. પોલીસ મિત્રો આપની સુરક્ષા માટે 24 કલાક તૈનાત હોય છે. ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ સામાન્ય લોકોની પીડા અને તકલીફો જોઈ વ્યાજખોરો સામે રાજ્ય વ્યાપી ઝુંબેશ ચલાવી હતી. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે પણ 81 જેટલા લોક દરબારો, 67 લોન મેળા યોજી 191 જેટલા લાભાર્થીઓને 77 લાખ 18 હજારની સહાય કરી છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વ્યાજખોરો પાસે નાણા વ્યાજે લેવાને બદલે સરકારી યોજનાઓ, સહકારી મંડળીઓ અથવા બેંક પાસેથી નાણાં વ્યાજે લેવા જોઈએ. તેમણે ઉપસ્થિત સૌને સરકારી યોજનાનો લાભ લેવા માટે વિનંતી કરી હતી.

રાજકોટ વિભાગ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવએ જણાવ્યું હતું કે, સરકારશ્રીના આ પ્રયાસથી વ્યાજખોરોની દુકાન બંધ થઈ ગઈ છે. ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપી સામાન્ય નાગરિકો પાસેથી મોટું વ્યાજ પડાવતાં વ્યાજખોરો વિરૂધ્ધ ગૃહ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્યભરમાં ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા લોક દરબારો યોજી નાગરિકોની ફરિયાદો મેળવી વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

જો રાજકોટ વિભાગની વાત કરવામાં આવે તો 300થી વધારે વ્યાજખોરો આજે જેલમાં છે. રાજકોટ રેન્જમાં પોલીસ પરિવાર દ્વારા 700થી વધારે લોક દરબારો યોજી 10 કરોડથી વધારેની લોન આપવામાં આવી છે. ગરીબ વ્યક્તિનું શોષણ કેવી રીતે અટકાવી શકાય એ માટે સરકાર સતત ચિંતત છે. વ્યક્તિ લોન લઈ સશક્ત થાય અને સમયસર લોનની ભરપાઈ કરે એ માટે સૌ લાભાર્થીઓને ટકોર કરી હતી.

દસાડા ધારાસભ્યશ્રી પી.કે.પરમારે જણાવ્યું હતું કે, વ્યાજખોરીનાં વિષચક્રમાંથી લોકોને મુક્ત કરવા માટે પોલીસ વિભાગ માનવતાવાદી કાર્ય કરી રહ્યો છે. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા લોનમેળા અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો તે ખરેખર પ્રશંસનીય કાર્ય છે. આ લોન મેળા થકી સામાન્ય લોકો લોન મેળવી પોતાના નવા વ્યવસાયો ચાલુ કરી આત્મનિર્ભર બનશે.

ચોટીલા ધારાસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, લોકોને વ્યાજખોરોથી મુક્ત કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સામાન્ય માણસ મજબુરીના કારણે વ્યાજે રૂપિયા લઇ વ્યાજના દુષ્ણમાં ફસાઇ જાય છે અને પોતાની માલમિલકત ગીરવી મૂકી દેતા હોય છે, ત્યારે આવા પીડિત નાગરિકોને મુક્ત કરવા માટે સરકાર પ્રયત્નશીલ બની છે.

ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી એચ.પી.દોશી દ્વારા સ્વાગત પ્રવચન અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.બી.જાડેજા દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નગરપાલીકા પ્રમુખશ્રી વિરેન્દ્રભાઇ આચાર્ય, અગ્રણી સર્વેશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, શંકરભાઈ વેગડ, ધીરુભાઈ સિંધવ પોલીસ અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

લિટલ ઓર્કિડ પ્રિ-સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે નું આયોજન કરાયું

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version