Kharaghoda – ખારાઘોડામાં 135 વર્ષ પહેલા અંગ્રેજોએ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, રામ, લક્ષ્મણ અને જાનકીની મૂર્તિઓ પેરિસના શિલ્પકાર પાસે તૈયાર કરાવી હતી
સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ગામે 135 વર્ષ પહેલા અંગ્રેજોએ સવા લાખ રૂ.નો ખર્ચ કરી રામજી મંદિર બનાવ્યું હતુ. જેમાં રામ, લક્ષ્મણ અને જાનકી મૂર્તિઓ પેરિસના શિલ્પકાર પાસે તૈયાર કરાવી હતી અને બ્રિટિશ સરકારે મંદિરના પુજારીને સિપાહીના ગ્રેડ જેટલો પગાર આપતી હતી.
અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી સમગ્ર દેશનો માહોલ રામમય બન્યો હતો. જેમાં ગ્રામ્ય પંથકમાં લોકો સ્થાનિક રામજી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પરંતુ એ જાણીને નવાઈ લાગશે કે, સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડાના નવાગામમાં બે માળનું રામજી મંદિર સને 1888 આસપાસ અંગ્રેજોએ બનાવ્યું હતુ. જેમાં રામ, લક્ષ્મણ અને જાનકી મૂર્તિઓ પેરિસના શિલ્પકાર પાસે તૈયાર કરાવી હતી. ભારતીય પ્રજા માટે બ્રિટિશરોની મોટા ભાગની યાદ એક કડવા સંભારણા સમાન છે. પરંતુ અહીં અંગ્રેજોના અલગ મિજાજના દર્શન થાય છે.
મંદિરના પૂજારી પરિમલભાઈએ જણાવ્યું હતુ કે, અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાની તૈયારીના ભાગરૂપે ગત 15મી જાન્યુઆરીએ ગામ લોકોએ ભવ્ય શોભાયાત્રા અને કળશયાત્રા કાઢી હતી અને ગત 22મી જાન્યુઆરીએ વહેલી સવારે ભવ્ય આરતી અને લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને લોકો રોજગાર ધંધા બંધ રાખીને આખો દિવસ ચાલેલી રામધૂનમાં આસ્થાભેર જોડાયા હતા. અને મોડી સાંજે દીવડાઓ પ્રગટાવીને મંદિરમાં અજવાશ પાથરવામાં આવી હતી. અયોધ્યામાં રામલલ્લાની પ્રતિષ્ઠા અંતર્ગત ગામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
મંદિરના નિર્માણમાં મલબારી સાગ અને સિસમના લાકડાનો ઉપયોગ કરાયો હતો
ગામના વયોવૃદ્ધ સ્વ પ્રભુદાદાએ નોંધ કરી હતી કે, એ સમયે ચાંદી દશ આનાની એક તોલો હતી. ભગવાનને ચાંદીના મુગટનો શણગાર પણ કરવામાં આવ્યા હતા. જો કે પછીથી ભીખા સગરામ નામના એક ગ્રહસ્થે મંદિર અને ભગવાનના ઘરેણાના ખર્ચ પેટે સવા લાખ રૂપિયા ચૂકવ્યા હતા. હિંદુઓ માટે પૂર્વ દિશા અને ઉગતા સૂર્યનું વિશેષ મહત્વ હોવાથી અંગ્રેજો દ્વારા મંદિર ગામની પૂર્વ દિશામાં બનાવવામાં આવ્યું હતુ. રામજી – મંદિરના નિર્માણમાં મલબારી સાગ અને સિસમના લાકડાનો ઉપયોગ કરાયો હતો. લાકડામાં કરવામાં આવેલું ઝીણું નકશીકામ આજે પણ ધ્યાન ખેંચે છે. 22મી જૂન 1988માં રામજી મંદિરની પૂર્ન પ્રતિષ્ઠા થઇ હતી.
મંદિરના પૂજારીને બ્રિટિશ સરકાર પગાર આપતી હતી
ગામના વડીલોના જણાવ્યા અનુસાર અંગ્રેજોએ બંધાવેલા આ રામજી મંદિરના પહેલા પૂજારી ઉમિયાશંકર ભટ્ટ હતા. તેમના વારસદારોને એ વાતનું આજે પણ એટલું જ ગર્વ છે. ત્યારે મંદિરના પૂજારીને બ્રિટિશ સરકાર પગાર આપતી હતી. તેમને વર્ગ-4ના કર્મચારી તરીકે સિપાહીનો ગ્રેડ આપવામાં આવતો હતો.એટલું જ નહીં પણ નિવૃત થતાં ત્યારે પેન્શન લાભ પણ મળતો હતો. આઝાદી પછી કેન્દ્ર સરકારના હિન્દુસ્તાન સોલ્ટ દ્વારા પગાર આપવાની પરંપરા થોડાક વર્ષો સુધી ચાલુ રહી હતી. મંદિરના બાંધકામ માટે ગામ લોકોના સલાહ સૂચનથી મંદિરને અડીને પૂજારીનું ઘર તૈયાર કર્યું હતુ. મુસાફરખાનું ઉપરાંત ગાયોનાં નિર્વાહ માટે ઘાસ ભરવાનો ઓરડો પણ બંધાવ્યો હતો.