સુરેન્દ્રનગર : ફુવારા સર્કલથી અલંકાર રોડ પરના અન્ડર પાસમાં 3 ફૂટની ફૂટપાથ અને 1 ફૂટનું ડિવાઇડર બનાવો
- સુરેન્દ્રનગર શહેર ફુવારા સર્કલથી અલંકાર રોડ રેલવે અન્ડર પાસ
- રેલવે પેસેન્જર સોશિયલ વેલ્ફેર એસોસિયેશનના આગેવાનો આજથી કલેક્ટર કચેરી સામે આંદોલન શરૂ કરશે
સુરેન્દ્રનગર શહેર મધ્યમાંથી પસાર થનાર ફુવારા સર્કલથી અલંકાર રોડ રેલવે અન્ડર પાસમાં 3 ફૂટની ફૂટપાથ અને 1 ફૂટનું ડિવાઇડર બનાવવા કલેક્ટર, સાંસદ સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ હતી.જેની કોઇ કાર્યવાહી ન થતા આથી રેલ્વે પેસેન્જર સોશિયલ વેલ્ફેર એસોસિયેશનના આગેવાનો આથી કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન પર બેસવાના છે.
3 ફુટની ફૂટપાથ મધ્યમાં 1 ફૂટનું ડિવાઇડર બનાવવા કલેક્ટરને રજૂઆત :
સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી થાય માટે પાલિકા દ્વારા ફુવારા સર્કલથી અલંકાર રોડ તરફ એક અન્ડર પાસ બનાવાઇ રહ્યો છે. આ અન્ડર પાસમાં બન્ને તરફ 3 ફુટની ફૂટપાથ મધ્યમાં 1 ફૂટનું ડિવાઇડર બનાવવા કલેક્ટરને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ આ અંગે સાંસદ, રાજયમંત્રી, પાલિકા પ્રમુખ, એન્જિનિયર, રેલ્વે પ્રશાસનને રજૂઆત કરી હતી.
પરંતુ પાલિકાએ ફૂટપાથ 2 ફૂટ 5 ઇંચની નિર્માણ કામગીરી હાથ ધરી છે જ્યારે પાલિકા એન્જિનિયરે રેલ્વે પ્રશાસનને નાળામાં વચ્ચે ડિવાઇડર નિર્માણની મનાઇ કરી છે. આ નાળામાં 3 ફૂટની ફૂટપાથ અને મધ્યમાં 1 ફૂટનું ડિવાઇડર નહીં મુકતા ભવિષ્યમાં જાનહાનિ થાય તો તે પાલિકા પ્રમુખ અને એન્જિનિયરની રહેશે.
અમારી વારંવારની રજૂઆત છતાં કોઇ કાર્યવાહી ન થતા પ્રવિણસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ઝાલા તા.22-7-2022થી કલેક્ટર કચેરી સામે પ્રતિક ભૂખ હડતાળ કરીશું. ત્યારબાદ સીએમ અને દેશના ગૃહમંત્રીને રજૂઆત કરીશું અને હજુ ન્યાય નહીં મળે તો ઉચ્ચ અદાલતમાં પીઆઇએલ કરવા ચીમકી આપી હતી.