ખેડૂતોનું અલ્ટીમેટમ: ધ્રાંગધ્રા તાલુકાના ગામોની કેનાલમાં નર્મદાનું પાણી ન મળે તો ભાજપના નેતાઓને ગામમાં નો-એન્ટ્રી
- ધ્રાંગધ્રાના ખેડૂત આગેવાન જે.કે.પટેલની હાકલ પડતાં ગામોમાં લાગ્યા પ્રવેશબંધીના બોર્ડ
- ગામડાઓમાં પ્રવેશબંધીના બોર્ડ લાગતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગામોમાં હાલ નર્મદાના નીર માટેની કેનાલો બંધ હાલતમાં છે. ત્યારે ખેડૂતોએ અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. ત્યારે ગત સાત તારીખના ખેડૂત આગેવાન જે.કે.પટેલ અને મહેશ પટેલ દ્વારા જળસમાધિની ચીમકી પણ ઉચ્ચારી હતી. જેમાં ધ્રાંગધ્રા પોલીસ દ્વારા એમની ધરપકડ કરવામાં આવી હતી. અને જળ સમાધિ કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો હતો.
તંત્રએ આપેલું વચન ન પાળતા ખેડૂતોમાં આક્રોશ:
ત્યારે તંત્ર દ્વારા ખાત્રી આપવામાં આવી હતી કે, કેનાલમાં પાણી છોડવામાં આવશે. પરંતુ ખેડૂતોને હાલ વાવણી લાયક વરસાદ નોંધાયો નથી. ત્યારે ખેડૂતોને આગોતરી વાવણીનો પાક સુકાવવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે નર્મદાના નીર નહીં મળતાં ખેડૂતોમા રીતસરનો આક્રોશ જોવા મળ્યો હતો. જેમાં મેથાણ ગામના સમસ્ત ખેડૂતો દ્વારા વિવિધ જાહેર સ્થળો અને ઘરે ઘરે બોર્ડ લગાવી વિરોધ નોંધાવ્યો છે. જેમાં જ્યાં સુધી નર્મદા કેનાલમાં નીર નહીં, ત્યાં સુધી ભાજપ નેતાઓને મેથાણમા પ્રવેશ કરવો નહીની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
ગામમાં ઘરે ઘરે બોર્ડ લગાવી વિરોધ નોંધાવ્યો:
આ અંગે ધ્રાંગધ્રાના ખેડૂત આગેવાન જે.કે.પટેલનો ટેલીફોનીક સંપર્ક સાધતાં તેઓએ જણાવ્યું હતુ કે, આ ગામ સમસ્તના ખેડૂતોનો નિર્ણય છે. અમો ખેડૂતોની તમામ લડતમા સહભાગી હોઈએ છીએ. અને આ કાર્યક્રમ સ્વયંભૂ ગામલોકોનો છે. અને ગામમાં ઘરે ઘરે બોર્ડ લગાવી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે, તે હાલ જોવા મળે છે. ખેડૂતોને હાલ પાણી નહીં મળે તો મોઘાભાવના બિયારણ અને ખેતીકામ ખર્ચનો બોજ ખેડૂતો ઉપર પડશે. અને જો ખેડૂતો દેવાદાર બનશે તો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લઈ તાત્કાલિક ધોરણે કેનાલ ચાલુ કરવામાં આવે તેમ જે.કે.પટેલે જણાવ્યું હતુ.