ચક્રવાતનો લાઈવ વીડિયો: પાંચ દિવસમાં બીજીવાર સુરેન્દ્રનગરમાં ચક્રવાત ત્રાટક્યું, તોફાની પવને આફત નોતરી
- હળવદમાં તબેલાનો શેડ પડતા પાંચ ભેંસો દટાઈ
- કોયબા રોડ ઉપર આવેલા વેર હાઉસના ગોડાઉનના પતરા ઊડ્યા
પાટડીના ગોરીયાવડમાં આકાશી ચક્રવાતના બવંડરનો લાઇવ વીડિયો કેમેરામાં કેદ થયો છે. લખતર બાદ પાટડી પંથકમાં પણ આકાશી તોફાને લોકોના શ્વાસ અધ્ધર કર્યા હતા. જ્યારે પવનના સૂસવાટા અને આ આકાશી ચક્રવાતે ઝાલાવાડ પંથક અને હળવદ પથંકને ઘમરોળ્યું હતુ અને ભારે વિનાશ વેર્યો હતો. જ્યારે હળવદમાં ભારે પવનને કારણે તબેલાનો શેડ પડતા પાંચ ભેંસો દટાઈ હોવાની ગોઝારી ઘટના બની હતી. જ્યારે વેરહાઉસના ગોડાઉનના પતરા ઊડ્યાં હતા.
તબેલાનો આખો શેડ પડ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર બાદ પાટડી પંથકમાં પણ આકાશી તોફાને લોકોના શ્વાસ અધ્ધર કર્યા હતા. જ્યારે હળવદમાં આજે મોડી સાંજે મીની વાવાઝોડા જેવો તેજ પવન ફૂંકાતા તબેલાનો શેડ પડી જતાં પાંચ ભેંસો દટાઈ હતી અને ગાયો ઉપર શેડ પડતા નાનીમોટી ઇજા થઇ હતી. જોકે, તબેલાના શેડ નીચે દટાયેલી પાંચેય ભેંસોને મહામહેનતે આસપાસના લોકોએ બચાવી લીધી હતી. આ ભારે પવનથી ઠેરઠેર પતર ઊડ્યા હતા.
જોરદાર પવન ફૂંકાયો
હળવદમાં મોડી સાંજે અસહ્ય બફારા અને ગરમીને કારણે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વરસાદનું ઝાપટું પડ્યું હતું. જોકે, વરસાદ તો માત્ર થોડો જ પડ્યો હતો, પણ જોરદાર પવન ફૂંકાયો હતો. મીની વાવઝોડા રૂપી આ તેજ પવનને આફત નોતરી હતી. જેમાં હળવદમાં આવેલ રાતકડી હનુમાનજી મંદિર પાસે આવેલા તબેલાનો આખો શેડ ઉડી ગયો હતો. જેથી આ શેડ હેઠળ પાંચેક ભેંસો દટાઈ ગઈ હતી.
લોકપ્રશ્નોને વાચા મળી: નળ, ગટર, રસ્તાની સમસ્યા દૂર થાય તો સુનગર બને
વેર હાઉસના ગોડાઉનના પતરા ઊડ્યા
આ બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી ગયા હતા અને મહામહેનતે ભેંસોને શેડ નીચેથી બહાર કાઢી લીધી હતી. તેમજ શેડ નીચે અમુક ગાયો પણ દટાઈ જતા ઇજા થઇ હતી. જ્યારે હળવદના કોયબા રોડ ઉપર આવેલા વેર હાઉસના ગોડાઉનના પતરા ઊડ્યા હતા. તો રાણેકપર રોડ ઉપર મકાનોના પતરા ઉડ્યા હોવાની માહિતી મળી છે. તેમજ બેનરો, હોર્ડિંગને નુકસાન થયું છે. અમદાવાદ માળીયા ટોલ વે લિમિટેડ સોલડી ટોલ પ્લાઝા ખાતે આવેલા ભયાવહ વાવાઝોડાના કારણે ટોલ પ્લાઝામાં લગાવેલા કેનોપી અને રોડની સાઇડે લગાવેલા બોર્ડ્સ ને ભારે નુકશાન થયું છે. આ અંગે પ્રાંત કલેક્ટર રૂતુરાજસિંહ જાદવના જણાવ્યાનુસાર આ વીડિયો ક્યાંનો છે એ અત્યારે કહેવુ અઘરૂ છે. જેની ખરાઇ કરવા રેવન્યુ તલાટીને ઘટનાસ્થળે મોકલવાની તજવીજ હાથ ધરાઇ છે.
પાંચ દિવસ ભયાવહ ચક્રવાત જોવા મળ્યું હતું
મહત્વનું છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના વિઠ્ઠલગઢ અને જ્યોતિપરા ગામ આસપાસના વિસ્તારમાં પાંચ દિવસ અગાઉ પણ ભયાવહ ચક્રવાત જોવા મળ્યું હતું. જેને લઈ લોકોમાં કુતૂહલની સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના લખતર પંથકમાં આકાશી ચક્રવાત ત્રાટક્યું હતું. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ ભયાવહ ચક્રવાતના કારણે 18 જેટલા વીજપોલ ધરાશાઈ થયા હતા. જેથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો હતો.
સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાયું, જુઓ તસવીરોમાં જગતના નાથના આભુષણો