Sayla – સાયલા તાલુકામાં તા.22મી ફેબ્રુઆરીનાં રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે
- તાલુકા કક્ષાએ ફરિયાદ નિવારણ દિવસનું આયોજન
મુખ્યમંત્રીશ્રી તરફથી તાલુકા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ-જિલ્લા/ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે તાલુકા કક્ષાએ ફરિયાદ નિવારણ દિવસનું આયોજન કરવા સૂચના કરેલ છે. જે અંતર્ગત ચાલુ માસમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ દર માસના ત્રીજા બુધવારે એટલે કે તા.22/02/2023 ના રોજ મામલતદાર કચેરી સાયલા ખાતે યોજાનાર છે.
આ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તા.18/02/2023ના રોજ સાંજના 6:00 કલાક સુધીમાં તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેના તાલુકા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો, સાયલા મામલતદારશ્રીને પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને જણાવવામાં આવે છે. અરજીમાં મથાળે માન. મુખ્યમંત્રીશ્રીનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે.
અરજદારે તેઓની અરજી/પ્રશ્નો બે નકલમાં મોકલવાના રહેશે. તારીખ વિત્યા પછીની કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ રજુઆતવાળી એક કરતાં વધુ શાખાના પ્રશ્નો હોય તેવી, સુવાચ્ય ન હોય તેવી, નામ સરનામા વગરની કે વ્યક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરિક તકરાર, સેવાને લગતી અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. સરકારી કર્મચારીઓની સેવા વિષયક બાબતને લગતા પ્રશ્નો અને કોર્ટ મેટર કે અપીલ/વિવાદ હેઠળના પ્રશ્નોનો કે બેન્કિંગ અંગેના પ્રશ્નો કે ભૂકંપને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે નહીં, જેની અરજદારોને નોંધ લેવા સાયલા મામલતદારશ્રીની એક યાદીમાં જણાવાયું છે.