ઉત્તરાયણ પહેલા બાળકના જીવનની દોરી કપાઇ, માતા-પિતા માટે ચેતવણી…
- અડાજણ-પાલ રોડ વિસ્તારમાં બનાવ બન્યો
- દુર્ઘટનામાં પ્રાધ્યાપકના એકના એક પુત્રનું મોત
- બહેન અને બાળ મિત્રોની નજર સામે બાળક નીચે પટકાયો
સુરતના અડાજણ-પાલ રોડ વિસ્તારમાં ગોઝારો બનાવ બન્યો છે. જેમાં પતંગ ચગાવતી વખતે પડી જતાં બાળકનું મોત નિપજ્યું છે. દુર્ઘટનામાં પ્રાધ્યાપકના એકના એક પુત્રનું મોત થતાં વિસ્તારમાં ચકચાર મચી છે. જેમાં બાળક પતંગ ચગાવતી વખતે અગાશી પરથી પટકાયો હતો.
દુર્ઘટનાએ અન્ય માતા-પિતા માટે અગમચેતીનો સંદેશ આપ્યો
ગુજરાતામાં પતંગરસિકો માટે લાલબત્તી સમાન બનાવ બન્યો છે. જેમાં ખાસ તો નાના બાળકોના માતા-પિતાને ધ્યાનમાં લેવા જેવી ઘટના બની છે. સુરતના અડાજણ-પાલ રોડ પર એક બાળક પાંચમા માળની અગાસી ઉપરથી પતંગ ચગાવતાં બહેન અને મિત્રોની નજર સામે નીચે પટકાયો છે. એગ્રિકલચર કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપકના એકના એક દીકરા સાથે ઉત્તરાણ પહેલાં થયેલી દુર્ઘટનાએ માતા-પિતા માટે અગમચેતીનો સંદેશ આપ્યો છે. બાળકના પિતાએ કહ્યું હતું કે પહેલી જ વાર પતંગ આપ્યુ અને માસૂમ તનયના જીવનની દોર તૂટી કપાઇ ગઇ છે.
બહેન અને બાળ મિત્રોની નજર સામે બાળક નીચે પટકાયો
સુરતના અડાજણ-પાલ રોડ ઉપર બાળકો અગાસી પર પતંગ ચગાવવા ચડ્યા હતા. જેમાં બહેન અને બાળ મિત્રોની નજર સામે બાળક નીચે પટકાયો હતો. તેમાં અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉત્તરાયણના તહેવારોમાં શું ના કરવું જોઈએ?
– ઈલેક્ટ્રીક વાયરમાં ફસાયેલ પતંગ કે દોરી કાઢવા પ્રયત્ન કરવો નહીં.
– કોઇએ પણ ઉંચાઈએથી જમીન પર કૂદવું જોઈએ નહીં.
– ઈલેકટ્રીક વાયર, રોડ અને વીજળીના થાંભલાની નજીક પતંગ ચગાવવો નહીં.
– લીસી, ખરબચડી, તૂટેલી અને નબળી અગાસી પર ઉભું રહેવું નહી.
– નબળા બાંધકામ કે છાપરા પર પતંગ ચગાવવા નહી.
– જાહેર રસ્તા પર પતંગ પકડવા દોડવું ન જોઈએ.
ઉત્તરાયણ પહેલા અને ઉત્તરાયણના દિવસે શું સાવચેતી રાખવી?
– પતંગ ચગાવતા પહેલાં આંગળીઓને મેડીકેટેડ ટેપ લગાવી જોઈએ.
– બાળકોએ વાલીની દેખરેખ હેઠળ પતંગો ચગાવવો જોઈએ.
– વાહન ચાલકે હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ.
– બાઇક પર આગળ સેફ્ટી સળીયો લગાવવો.
– ઈજા થાય તો 108 નંબર ડાયલ કરવો.
– અગાસીમાં ફર્સ્ટ એઈડ કીટ અવશ્ય રાખવી.