કેમ મધરાતે આખા અમદાવાદને લોક કરાયું?: 70 લાખ અમદાવાદી મીઠી ઉંઘમાં હતા ત્યારે સિલ્વર કાર-4 શકમંદે પોલીસના શ્વાસ અધ્ધર કર્યા, આ હતું ઓપરેશન!
કોરોનાની ત્રણેય લહેર બાદ અમદાવાદ શહેર ફરી દોડતું થઈ ગયું છે, અને રાત્રે પણ યુવાઓના નાઇટ આઉટિંગથી શહેર સતત ધમધમતું રહે છે. પરંતુ બુધવારે રાતે 11.30 વાગ્યે શહેરમાં અચાનક જ લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું. શહેરના બ્રિજ રસ્તા પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો. આખા શહેરમાં જે લોકો જ્યાં હતા ત્યાં જ રોકી દેવામાં આવ્યા હતા. એક કલાક સુધી ચાલેલી આ પ્રક્રિયામાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા કે શું થયું હશે આમ કેમ થઈ રહ્યું છે.
ગણતરીની મિનિટ્સમાં જ નાકાબંધી કરી
કન્ટ્રોલ રૂમમાંથી મેસેજ આવ્યો હતો કે એક સિલ્વર કલરની કારમાં ચાર શકમંદો ભાગ્યા છે, તાત્કાલિક તેમને પકડવામાં આવે, એટલે શહેરમાં ગણતરીની મિનિટ્સમાં જ નાકાબંધી કરી દેવામાં આવી હતી. તેમજ બેરેકેડિંગ કરી દેવામાં આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહીને પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો કે અચાનક જ આટલી મોટી સંખ્યામાં પોલીસ કેમ એક્શનમાં આવી ગઈ? શહેરમાં કોઈ અમંગળ ઘટનાના એંધાણ તો નથીને?
એક એક વાહન ચેક કર્યા
આ દરમિયાન પોલીસ દ્વારા એક એક વાહનને ચેક કરીને જેવા દેવામાં આવી રહ્યા હતા. તેમજ શંકા પડે તો લોકોની પૂછપરછ પણ કરવામાં આવતી હતી. જો કે આ સમગ્ર ઘટનાક્રમ અંગે શહેરીજનો અજાણ હતા. તેમજ તેમના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા હતા. અંતે અમદાવાદ પોલીસ જે સિલ્વર કલર કારની શોધમાં હતી એ શકમંદ કારને પકવાન ચાર રસ્તા પાસે જ રોકી લેવામાં સફળ થઈ હતી.
એક કલાક ચાલી લોકડાઉન પ્રક્રિયાઃ સંયુક્ત પોલીસ કમિશનર
આ અંગે અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયાને લોકડાઉન પ્રક્રિયા કહેવામાં આવે છે. જે એક કલાક સુધી ચલાવવામાં આવી હતી. કોઈપણ સંજોગોમાં પોલીસ એલર્ટ કરવા માટેની આ પ્રક્રિયા છે. પોલીસ કંટ્રોલરૂમથી મેસેજ કર્યા બાદ પોલીસ કેટલી ઝડપી બને છે તે જાણવા મળે છે.
સિલ્વર કારમાંથી આ ચાર શખ્સ બહાર નીકળ્યા
અમદાવાદમાં આગામી 1 જુલાઈએ અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા યોજાશે. જેને પગલે ગૃહમંત્રી પણ શહેરમાં આવવાના હોવાથી પોલીસ કેટલી એલર્ટ છે તે ચકાસવા માટે શહેરને લોક કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસે પકવાન પાસેથી પકડેલી સિલ્વર કારમાંથી પોલીસ કર્મીઓ જ નીકળ્યા હતા.