વિશ્વ વન દિવસ – ચોટીલા ખાતે ભક્તિવન અને સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વન બન્યા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

Photo of author

By rohitbhai parmar

World Forest Day – ચોટીલા ખાતે ભક્તિવન અને સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વન બન્યા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

Google News Follow Us Link

વિશ્વ વન દિવસ - ચોટીલા ખાતે ભક્તિવન અને સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વન બન્યા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

  • મુલાકાતીઓને વૃક્ષોવનસ્પતિઓનાં મહત્વસંરક્ષણ અને સંવર્ધન અંગે જ્ઞાન પીરસવા સાથે બન્યા પ્રકૃતિની પાઠશાળા

વર્ષ 2012થી 21મી માર્ચનો દિવસ ‘વિશ્વ વન દિવસ’ તરીકે ઉજવાય છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ પ્રકારનાં વનો દ્વારા મળતા લાભો, પેદાશો અને ઉપકારોને યાદ કરી તેનું ઋણ ચૂકવવાનો છે. સંયુક્ત રાષ્ટ્રો દ્વારા વનોની જાળવણી, જતન અને વ્યવસ્થાપન અંગેની જાગૃતિ વધારવા માટે આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. પર્યાવરણના જતન માટે વિવિધ પ્રકારનાં વનોનાં રક્ષણ અને સંવર્ધનની જરૂરિયાત સમજી સરકાર દ્વારા અનેકવિધ પહેલ કરવામાં આવી છે.

રાજ્યમાં વૃક્ષ આવરણ, જૈવિક વિવિધતામાં વધારો કરવા તેમજ વન સંરક્ષણ અને સંવર્ધનક્ષેત્રે જાગૃતિ લાવવાનાં પ્રયાસનાં ભાગરૂપે વર્ષ 2004થી ગુજરાત સરકાર દ્વારા સાંસ્કૃતિક વનોની રચનાનો નવીન અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ગાંધીનગરમાં પુનિતવન, અંબાજીમાં માંગલ્યવન, પાવાગઢમાં વિરાસત વન, સોમનાથમાં હરિહરવન જેવા અલગ અલગ સ્થળોએ કુલ મળી 22 જેટલા સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

અલગ-અલગ થીમ પર બનેલા આ સાંસ્કૃતિક વનો નાગરિકો માટે હરવા-ફરવાનું ઉત્તમ પ્રાકૃતિક સ્થળ બનવા સાથે લોકોને ભારતીય સાંસ્કૃતિક પરંપરાનાં શાસ્ત્રોમાં વર્ણવેલી ઔષધીય વનસ્પતિઓથી પરિચિત કરાવવાનું કામ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ચોટીલા ખાતે ભક્તિવન અને દુધરેજ કેનાલ સાઇટ રોડ પર વટેશ્વર વન એમ બે સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ભક્તિ વન- ચોટીલા

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે વર્ષ 2008માં ભક્તિવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 4.85 હેકટર વિસ્તારમાં ફેલાયેલ આ વનને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં વરદહસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આ વનને તુલસી કુંડ, ભક્તિવન સંકુલ, પુનિત વન સંકુલ એવા મુખ્ય ત્રણ ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યું છે.

ભક્તિ વન વિશે વિગતવાર માહિતી આપતા આર.એફ.ઓશ્રી પી.એમ. મકવાણા જણાવે છે કે તુલસીકુંડમાં 108 તુલસી ક્યારાઓ બનાવી તેમાં તુલસીના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે ભક્તિવન સંકુલને 51 શક્તિપીઠ, પુષ્પવાટિકા અને ત્રિફળા વન એમ ત્રણ ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યું છે. જેમાં 51 શક્તિપીઠમાં 51 વૃક્ષોનું વાવેતર કરીને 51 શક્તિપીઠનાં માતાજી વિશે માહિતી દર્શાવવામાં આવી છે. પુષ્પવાટિકામાં 4,649 અલગ અલગ પ્રકારના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્રિફળા વનમાં આમળા, હરડે, બેહડાનાં કુલ 3296 વૃક્ષો છે.

વિશ્વ વન દિવસ - ચોટીલા ખાતે ભક્તિવન અને સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વન બન્યા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

અલગ અલગ 60 વૃક્ષો લહેરાઈ છે.

પુનિત વન સંકુલને રાશિવન, નિરોગી બાળવન, નક્ષત્રવન અને ગૃહવાટિકા એમ ચાર ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. આપણાં શાસ્ત્રોમાં દરેક રાશિઓના આરાધ્ય વૃક્ષો સૂચવેલ છે. જે વ્યક્તિની જન્મરાશિ પ્રમાણે વૃક્ષની વાવણી, સંવર્ધન અને રક્ષણ માટે શુભ ગણાય છે. આ મુજબ રાશિવનમાં લીમડો, આંબો, ખીજડો, ગરમાળો, સીમળો, બિલી, પીપળ, વડ, વાંસ, ખેર જેવા અલગ અલગ 60 વૃક્ષો લહેરાઈ રહ્યા છે.

જ્યારે નિરોગી બાળ વનમાં શરીરના વિવિધ અંગોમાં થતી બિમારીઓનાં ઉપચારમાં વપરાતી ઔષધીય વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવ્યું છે. બ્રાહ્મી, સર્પગંધા, આમળા, સોનામુખી, ગુગળ, ગળો જેવા અલગ અલગ 506 પ્રકારના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આપણી રાશિ, નક્ષત્ર અને દરેક ગ્રહોનું એક આરાધ્ય વૃક્ષ નક્કી કરવામાં આવ્યું છે. તે મુજબ નક્ષત્ર વનમાં વડ, ખાખરો, બીલી, ઉમળો, ઝેરું કોચલું, નાગકેસર, જેવા અલગ અલગ 60 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.

વિશ્વ વન દિવસ - ચોટીલા ખાતે ભક્તિવન અને સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વન બન્યા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

ઉપયોગી માહિતી આપતું પ્રકૃતિધામ

ગૃહવાટિકામાં ઘર ઉપયોગી એવા અલગ-અલગ 18 પ્રકારના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.ભક્તિવનની સ્થાપના સમયે 45,000 જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યારે અત્યારે 58,969 જેટલા છોડવાઓ-વૃક્ષો છે. મુસાફરો/ પ્રવાસીઓને બેસવા માટે વનમાં અલગ-અલગ ચાર વન કુટીરો અને 105 જેટલા બાંકડાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

બાળકોના મનોરંજન માટે રમતગમતનાં સાધનો પણ આવેલા છે તેમજ વનની સુરક્ષા/ રક્ષણ માટે 16 જેટલા સી.સી.ટી.વી. કેમેરાઓ લગાવવામાં આવ્યા છે. ચોટીલાધામ ખાતે મા ચામુંડાનાં દર્શનાર્થે આવતા પ્રવાસીઓ માટે ભક્તિવન હરવા-ફરવાનું એક ઉત્તમ વિકલ્પ તો બન્યું છે પણ સાથે-સાથે તે વૃક્ષો, ઔષધીય વનસ્પતિઓનાં મહત્વ અને સંરક્ષણ અંગે ઉપયોગી માહિતી આપતું પ્રકૃતિધામ પણ બની રહ્યું છે.

વટેશ્વર વન-દૂધરેજ કેનાલ સાઈટ રોડ

સુરેન્દ્રનગર એકમાત્ર એવો જિલ્લો છે જેને બે-બે સાંસ્કૃતિક વનની ભેટ મળી છે. ભગવાન વડવાળાનાં નામ ઉપરથી દૂધરેજ કેનાલ સાઈટ પર 5 હેક્ટર જેટલા વિસ્તારમાં 73 હજારથી વધુ છોડવાઓથી જિલ્લાનું બીજુ સાંસ્કૃતિક વન વટેશ્વર વન આકાર પામ્યું છે. 10 કરોડથી વધુનાં ખર્ચે આયુર્વેદ અને યોગની થીમ પર આ સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

વિશ્વ વન દિવસ - ચોટીલા ખાતે ભક્તિવન અને સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વન બન્યા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

કુદરતી પથ્થરોનાં ઉપયોગ સાથે વટેશ્વર વનની રચના

સામાન્ય ગાર્ડનની જેમ લોકો આવે અને માત્ર ફરીને જતા ન રહે પરંતુ વનસ્પતિઓ અને તેમનાં ચિકિત્સકીય ગુણો વિશે જાણે, સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિનો પરિચય કેળવે તેવા હેતુ સાથે અહીં 33 જેટલી એમ્નેટીઝ ઉભી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર-ઝાલાવાડ પ્રદેશનાં ઈતિહાસ, સાહિત્ય, સંસ્કૃતિનાં વિવિધ પાસાઓ પ્રતિબિંબિત થાય તે રીતે રજવાડી સ્થાપત્યકલા, લાકડા અને કુદરતી પથ્થરોનાં ઉપયોગ સાથે વટેશ્વર વનની રચના કરવામાં આવી છે. તેનાં દરેક ભાગનાં નિર્માણ પાછળ કોઈ સંદેશ, કોઈ વિચાર રહેલો છે.

ઝાલાવાડનો પ્રદેશ લોકનૃત્ય, લોકસંગીત માટે જાણીતો છે તે લક્ષમાં રાખીને તરણેતરનો મેળો, દ્વોપદીનો સ્વયંવર સહિતનાં પ્રસંગોનાં શિલ્પો અને ચિત્રો મુલાકાતીઓને આવકારતા મુખ્ય દ્વાર સમીપે ઉભા છે. સમગ્ર વન આયુષ કલર ગાર્ડન, યોગા ગાર્ડન, ઝેન ગાર્ડન, સ્કલ્પચર ગાર્ડન, સેન્સ એન્ડ ટચ ગાર્ડન, ફ્રુટ એન્ડ ફન પાર્ક જેવા થીમ આધારિત ગાર્ડન્સ-વિભાગોનો સમૂહ છે.

આયુર્વેદિક ઉપયોગિતા ધરાવતા છોડ

આ દરેક વિભાગ પાછા પોતાની રીતે વિશિષ્ટ છે, જેમ કે આયુષ કલર ગાર્ડન સામાન્ય ગાર્ડનની જેમ અહીં માત્ર આંખોને ગમે તેવા સુંદર અને સારી સુગંધ ધરાવતા ફુલછોડ નથી લગાડ઼વામાં આવ્યા પરંતુ આયુર્વેદિક ઉપયોગિતા ધરાવતા, મેડિસિનલ વેલ્યુ ધરાવતા હોય તેવા છોડવા રોપવામાં આવ્યા છે. સ્પર્શ બહુ મજબૂત ઈન્દ્રિય છે અને દરેક તત્વનો સ્પર્શ શરીરમાં અલગ સંવેદન જગાડે છે.

આ ટચ થેરાપીને ધ્યાનમાં રાખીને યોગા ગાર્ડન બનાવવામાં આવ્યું છે. જે સામાન્ય રીતે બને છે તેમ ઘાસની લોન પર નથી બન્યું પરંતુ પાંચ અલગ-અલગ પ્રકારનાં મટીરીયલથી તેની સપાટી તૈયાર કરવામાં આવી છે. સૌ પ્રથમ નાના-નાના ગોળ પથ્થરો છે, જેનાં પર ચાલવાથી એક્યુપંકચર થેરાપીનો અનુભવ થાય છે. ત્યારબાદ આવે છે ઈંટોથી, લાકડામાંથી, કુદરતી ખડકોમાંથી બનાવેલ ભાગ. આ તમામ પર મુલાકાતીએ ખુલ્લા પગે ચાલીને સ્પર્શનો આનંદ માણે છે.

સેન્સ એન્ડ ટચ ગાર્ડન

આ ગાર્ડનમાં સૂર્યનમસ્કાર અને યોગની વિવિધ મુદ્રાઓનાં શિલ્પો મૂકવામાં આવ્યા છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે. આ જ પ્રકારે સેન્સ એન્ડ ટચ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. જેમાં આપણી પાંચ ઈન્દ્રિયો–દષ્ટિ શ્રવણ, સ્પર્શ, ગંધ, સ્વાદની થીમ પર પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. ત્યાં પણ એક્યુપંકચર મેથડ પર આધારિત એક વોક-વે રિંગ બનાવવામાં આવી છે. જે લોન, કપચી, પથ્થર, લાકડા સહિતનાં પદાર્થથી બનેલી છે અને જેનાં પર ચાલવાથી હળવાશનો અનુભવ થાય છે.

હોમ આયુર્વેદા ઈન્ફર્મેશન ડેસ્ક

સમગ્ર વનનાં વોક-વૅ થીમ આધારીત છે. ફોક્સ ટેઇલ વોક-વે એટલે શિયાળની પૂંછડી જેવો આકાર ધરાવતા પ્લાન્ટસથી બનેલો વોક-વે છે, તો ઇન્ડિયન ક્રિસમસ ટ્રી વૉક-વે તમે ક્રિસમસ ટ્રીની હારમાળા વચ્ચે ચાલતા હો તેવો અનુભવ કરાવે છે અને ફોટો પડાવવા માટે એક સરસ લોકેશન પણ પૂરૂ પાડે છે. આ વનનું મુખ્ય કેન્દ્ર કહી શકાય આરોગ્ય વનને. જેમાં આંખ, કાન, કિડની, હૃદય, લીવર, ત્વચા હાડકા સહિતનાં શરીરના 10 અંગોને માટે ફાયદાકારક કે તેમનાં વિવિધ રોગોનાં ઉપચારમાં વપરાતી આયુર્વેદિક વનસ્પતિઓ-જડીબુટ્ટીનાં રોપાઓ અને છોડવાઓ લગાવવામાં આવ્યા છે.

તેમાં દરેક અંગનું શિલ્પ અને તેને માટે ઉપયોગી વનસ્પતિઓનો પરિચય પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આસપાસ આ ઔષધીય વૃક્ષો-વનસ્પતિઓ લગાડવામાં આવ્યા છે. સામાન્ય બિમારીઓનાં ઘરગથ્થુ ઉપચારોની જાણકારી આપતું હોમ આયુર્વેદા ઈન્ફર્મેશન ડેસ્ક પણ અહીં બનાવવામાં આવ્યું છે.

વિશ્વ વન દિવસ - ચોટીલા ખાતે ભક્તિવન અને સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વન બન્યા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

સંસ્કૃતિ અને ઈતિહાસથી અવગત કરાવતું વન

યોગ અને પ્રાચીન ચિકિત્સા પ્રણાલી, આયુર્વેદ જેમને આભારી છે તેવા પાંચ મહાન ઋષિ પતંજલિ, ચરક, ધન્વંતરી, સુશ્રુત અને અશ્વિનીકુમારોનાં નામ પરથી પાંચ ઋષિવન બનાવવામાં આવ્યા છે. વનમાં બોરસલ્લી, વડ, લીમડો, ભોયરિંગણી, હરડે, અરડૂસી, મીંઢણ, સરગવો, અશ્વગંધા, બ્રાહ્મી, વડેલીયા, હાડસાંકળ, તુલસી, બારમાસી, ગુલાબ, પારિજાત સહિતનાં આયુર્વેદિક ઉપયોગો ધરાવતા વનસ્પતિ-છોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્કલ્પચર ગાર્ડનમાં સુરેન્દ્રનગર સાથે સંકળાયેલ મહાન વ્યક્તિત્વો જેવા કે સરદારસિંહ રાણા, ઝવેરચંદ મેઘાણી, પાંચાળ પ્રદેશમાં મત્સ્યવેધ કરનારા અર્જુનનાં શિલ્પો બનાવવામાં આવ્યા છે. અને સાથે જ તેમના વિશેની માહિતી પણ પ્રદર્શિત કરવામાં આવી છે. જે મુલાકાતીઓને સ્થાનિક સંસ્કૃતિ અને ઈતિહાસથી અવગત કરાવે છે.

બાળકો માટે ફ્રુટ એન્ડ ફન પાર્ક

જંગલનો અનુભવ કરી શકે તે માટે એક નાનકડું જંગલ ઉભુ કરવામાં આવ્યું છે. બાળકોને ધ્યાનમાં રાખીને વનમાં રમવા માટે પણ એક વિભાગ રાખવામાં આવ્યો છે. લપસણી, હિંચકાથી વિશેષ આપવાનાં આશયથી બાળકો માટે ફ્રુટ એન્ડ ફન પાર્ક બનાવવામાં આવ્યો છે.વિવિધ ફળનાં વૃક્ષો અહીં ઉછેરવામાં આવી રહ્યા છે. સ્ટ્રોબેરી, ડ્રેગન ફ્રુટ, તડબૂચ, નારંગી સહિતનાં ફળોનાં શિલ્પો બાળકો માટે સેલ્ફી પોઈન્ટ પણ આવેલ છે. મર્યાદિત વરસાદ ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાની છાપ સૂકા પ્રદેશ તરીકેની છે ત્યારે ચોટીલાનાં ભક્તિવન બાદ 73 હજારથી વધુ વૃક્ષો ધરાવતું આ વન ઝાલાવાડ વાસીઓ માટે એક અનોખી ભેટ અને હરવા-ફરવાનું એક સુંદર સ્થળ બન્યું છે.

માહિતી બ્‍યુરોસુરેન્‍દ્રનગર:

શક્તિ મુંધવા

લીંબડી ખાતે સિનિયર સિટીઝન મહિલાઓ માટે એથ્લેટિક્સ, ચેસ, યોગાસન, રસ્સાખેંચ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link