દીવાલ પડતાં 12 શ્રમિકનાં મોત: હળવદમાં મીઠાના કારખાનામાં કરુણાંતિકા સર્જાતા મરણચીસો ગુંજી ઉઠી, જેસીબીની મદદથી લાશો બહાર કઢાઈ
- મૃતકના વારસદારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત
- દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 50 હજાર સહાયની જાહેરાત
મોરબીના હળવદમાં આવેલા મીઠાના કારખાનામાં આજે વિશાળ દીવાલ ધરાશાયી થતા દટાઈ જવાથી 12 શ્રમિકોના મોત નિપજ્યા છે. મીઠાની બોરીઓનું દીવાલ પર વજન પડતા દીવાલ જમીન દોસ્ત થઈ હતી. જેના કારણે દીવાલ નીચે જ કામ કરી રહેલા મજૂરો દટાયા હતા. દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા દુઃખ વ્યકત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના વારસદારને ચાર-ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.
દીવાલ પડતા જ સમગ્ર વિસ્તાર મરણચીસોથી ગુંજી ઉઠ્યો
હળવદ GIDCમાં આવેલી સાગર સોલ્ટ નામની ફેક્ટરીમાં વહેલી સવારથી જ 20થી વધુ મજૂરો મીઠાની થેલી ભરવાનું કામ કરી રહ્યા હતા. મીઠાની બોરી પેક કરી દીવાલના સહારે શ્રમિકો લાઈનબદ્ધ થપ્પા લગાવી રહ્યા હતા. મીઠાની બોરીઓનું દીવાલ પર વજન પડતા જ દીવાલ જમીન દોસ્ત થઈ ગઈ હતી. જેના કારણે નીચે જ બોરી ભરવાનું કામ કરી રહેલા 20 જેટલા શ્રમિકો દટાતા સમગ્ર વિસ્તાર મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો.
કાટમાળમાંથી શ્રમિકોને બહાર કાઢવા જેસીબીની મદદ લેવાઈ
વિશાળ દીવાલના કાટમાળ નીચે 20 જેટલા શ્રમિકો દટાયા હોવાથી તાબડતોડ જેસીબીની મદદ લેવામાં આવી હતી. અત્યાર સુધીમાં 12 શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા છે. અન્ય કોઈ શ્રમિક દટાયેલા છે કે નહીં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.


પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ ઘટના અંગે દુઃખ વ્યકત કર્યું
હળવદની દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ ટ્વિટ કરી દુઃખ વ્યકત કર્યું હતું. મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે.
કોળી અને ભરવાડ પરિવાર પર આભ ફાટ્યું
દીવાલ પડવાની કરુણ દુર્ઘટનામાં જે 12 લોકોના મોત થયા છે. તેમાં એક પરિવારના 6 લોકો, બીજા પરિવારના 3 લોકો અને બાકીના 3 મૃતકો અન્ય પરિવારોના સભ્યો છે. કચ્છના રાપર તાલુકાના વાગડ પંથકમાંથી રોજી રોટી કમાવવા આવેલા સોમાણી પરિવાર પર આભ ફાટ્યું છે. જ્યારે ભરવાડ પરિવારમાં પણ ત્રણ લોકોના મોતના કારણે શોકનો માહોલ છવાયો છે.
સોમાણી પરિવારના મૃતકોના નામની યાદી
1.રમેશભાઈ મેઘાભાઈ સોમાણી ઉ.42
2.દિલીપભાઈ રમેશભાઈ સોમાણી ઉ.23
3.શીતલબેન દિલીપભાઈ સોમાણી ઉ.22
4.દિપક દિલીપભાઈ સોમાણી ઉ.2
5.શ્યામ રમેશભાઈ સોમાણી ઉ.10
6.દક્ષાબેન રમેશભાઈ સોમાણી ઉ.14
ભરવાડ પરિવારના મૃતકોના નામની યાદી
1.ડાયાભાઇ નાગજીભાઈ ભરવાડ
2.રાજીબેન ડાયાભાઇ ભરવાડ
3.દેવીબેન ડાયાભાઇ ભરવાડ
હાલાકી: તાલુકા પંચાયતથી જગદીશ આશ્રમ રોડ પર ગટરનો કચરો ઢોળાયો