આયોજન : આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુ પ્રેરિત ‘માટી બચાવો’ અભિયાન બાઇક રેલી વઢવાણ, સુરેન્દ્રનગર પહોંચી
- અમદાવાદથી 15 સ્વયંસેવક 2 દિવસમાં 400 કિલોમીટર પ્રવાસ કરી કુદરતી સંપદા બચાવવાનો પ્રયાસ
અમદાવાદથી 15 સ્વયંસેવકની ટીમ 2 દિવસમાં 400 કિલોમીટર પ્રવાસે સદગુરુ પ્રેરિત માટી બચાવો અભિયાન લઈને નીકળ્યા છે. જે સુરેન્દ્રનગરમાં આવી પહોંચતા સુરેન્દ્રનગર અને વઢવાણની શાળા અને કોલેજોમાં કાર્યક્રમ યોજ્યા હતા.જેમાં કુદરતી સંપદાને બચાવવા માટે લોકજાગૃતિ લાવવા પ્રયાસ કર્યા હતા.
ભારતનાં વિખ્યાત આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે અને માનવ જીવનને બચાવવા અંગે માટી બચાવો અભિયાનની માર્ચમાં શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત સદ્ગુરુએ લંડનથી ભારત સુધીની 100 દિવસની બાઈક રાઈડ કરી, 30000 કિલોમીટરનો પ્રવાસ કરી, વિશ્વના 27 દેશમાં માટી બચાઓ અભિયાનનો પ્રચાર કર્યો હતો. આ જ અભિયાનને આગળ વધારવાં, ઈશા ફાઉન્ડેશનના 15 સ્વયંસેવક અને અમદાવાદ સ્થિત ઈન્વિન્સિબલ એનજીઓનાં સહયોગથી એક બાઈક રાઈડનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બાઈક રાઈડ થકી સ્વયંસેવકોએ 2 દિવસમાં 400 કિલોમીટર પ્રવાસ કરીને અલગ અલગ શાળા કોલેજોમાં માટી બચાવોનો સંદેશ આપી રહ્યા છે. 20મી જુલાઈએ અમદાવાદથી નીકળી આ રાઈડ સૌથી પહેલા સુરેન્દ્રનગર આવી પહોંચી હતી.
આથી ઋષિરાજસિંહ મોરીની આગેવાનીમાં જોડીયા શહેરોની વઢવાણ અને સુરેન્દ્રનગરની વિવિધ શાળા કોલેજોમાં માટી બચાવવાથી 5 મોટી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે તેની સમજણ નાટક, નૃત્ય, પોસ્ટર અને સદ્દગુરૂનાં વીડિયોથી ન્યાલકરણ હાઈસ્કૂલ, એમ પી શાહ કોમર્સ કોલેજ, સરદાર પટેલ વિદ્યાલય, સી યુ શાહ ઇંગ્લિશ સ્કૂલ અને અંતે સી યુ શાહ મેડિકલ કોલેજમાં જઈને સ્વયંસેવકોએ માટીની અગત્યતા અને માટી બચાવવા માટેની જરૂરિયાત વિષે જાગૃકતા ફેલાવવાનું કાર્ય કર્યું હતું.
શું છે માટી બચાવો અભિયાન આપણી માટીમાં રહેલા સેન્દ્રીય પદાર્થોનું પ્રમાણ ઓછામાં ઓછું 3થી 6 ટકા હોવું જરૂરી છે. જે હાલ ફક્ત અડધા ટકા જેટલું જ છે. આગામી સમયમાં પગલાં નહીં લેવાય તો 2045 સુધીમાં વધતી જતી વસ્તી સામે ઓછા અન્ન ઉત્પાદનના લીધે વૈશ્વિક સ્તરે સંતુલન ખોરવાશે. આગામી 15થી 20 વર્ષમાં જરૂરી પગલાં નહીં ભરાય તો ખૂબ મોડું થઇ જશે.