કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને વઢવાણ ખાતે ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ કાર્યક્રમ યોજાયો
કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને વઢવાણ ખાતે ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ કાર્યક્રમ યોજાયો
- વઢવાણ ખાતે ‘વિશ્વાસથી વિકાસયાત્રા‘ કાર્યક્રમ યોજાયો
- બે દિવસમાં રૂ.68.31 કરોડનાં 1042 કામોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરવામાં આવ્યું
કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને આજે આનંદભુવન, વઢવાણ ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમને સંબોધતા વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકોનાં વિશ્વાસને સરકારે વિકાસમાં ફેરવ્યો છે. વિશ્વાસથી વિકાસની આ યાત્રા છેલ્લા બે દાયકા કરતા વધુ સમયથી વણથંભી રહી છે. લોકોએ સરકારમાં મૂકેલા વિશ્વાસને સાર્થક ઠેરવતા આજે રાજ્યના અને દેશના વિકાસ માટે શિક્ષણ, પીવાનાં પાણી, સ્વાસ્થ્ય, આવાસ સહિતની જનહિતલક્ષી સુવિધાઓ અને યોજનાઓ ક્ષેત્રે અવિરત વિકાસકાર્યો થઈ રહ્યા છે, જેનાથી લોકોનાં જીવનધોરણમાં પહેલાની તુલનાએ ઘણો વિકાસ જોવા મળી રહ્યો છે.
લોકો માટે અમલી કરાયેલ સરકારી યોજનાઓનાં લાભો છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચે તે વ્યવસ્થા સુનિશ્ચિત કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વ હેઠળ સરકારે લોકોને ગુણવત્તાસભર જીવન આપ્યું છે, મા-બાપ સંતાનોની ચિંતા કરે તેમ જનતાની ચિંતા કરતા તેમને કોઈ પણ જરૂરિયાત માટે બિચારા બનવાની જરૂર ન પડે તે સુનિશ્ચિત કર્યું છે અને માંગ્યા વગર અનેક સુવિધાઓ ઘર આંગણે પહોંચતી કરી છે.
મંત્રીશ્રીએ વિશ્વાસથી વિકાસ કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનાં ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યોની માહિતી આપતા જણાવ્યું હતું કે ડબલ એન્જિનની આ સરકારે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું રૂ.2 લાખ, 44 હજાર કરોડનું બજેટ આપીને વિકાસ કાર્યોની વણઝારને વધુ આગળ ધપાવવાનો મક્કમ રોડમેપ રજૂ કર્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે લીધેલા દૂરંદેશીભર્યા નિર્ણયો અને તેમનાં માર્ગદર્શન હેઠળ છેલ્લા બે દાયકાથી સરકારની અસરકારક કામગીરીનાં પગલે આજે ગુજરાત દેશના ગ્રોથ એન્જિન તરીકે ઉભરી આવ્યું છે.
અગાઉનાં સમયમાં લોકો વાળુ સમયે લાઈટ ન જાય તેવી ઈચ્છા રાખતા હતા ત્યારે આજે જ્યોતિગ્રામ યોજના અંતર્ગત ગુજરાતમાં 24 કલાક નિયમિત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ સરકારને લોકો માટે લોકો વચ્ચે જઈને કામ કરતી સરકાર તરીકે જણાવી તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્રમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકાર થકી ગુજરાતનાં વિકાસની ગાડી પૂરપાટ દોડી રહી છે. તેમણે વિશ્વાસથી વિકાસ કાર્યક્રમને જિલ્લામાં વિકાસકાર્યોનાં ઉત્સવ તરીકે ગણાવી રૂ.37.34 કરોડના કુલ 10 કામોનાં ઈ-લોકાર્પણ/ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે વિશ્વાસથી વિકાસ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં ગઈ કાલે પ્રાંત કક્ષાનાં રૂ.30.97 કરોડનાં 1032 કામોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત અને આજે રૂ.37.34 કરોડનાં 10 કામો મળી કુલ રૂ.68.31 કરોડનાં કુલ 1042 કામોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં વિઝન અને કામનાં પગલે વૈશ્વિક
સ્તરે ભારતની છબી અને અન્ય દેશોનાં ભારત તરફનાં વલણમાં આવેલ હકારાત્મક ફેરફારની તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં
થયેલા વિકાસ કાર્યો અંગે વાત કરી હતી. ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પરસોત્તમ સાબરિયાએ છેલ્લા બે દાયકામાં ગુજરાતે
સાધેલી પ્રગતિનો ચિતાર રજૂ કર્યો હતો તેમજ નગરપાલિકા પ્રમુખશ્રી વિરેન્દ્ર આચાર્યે વટેશ્વર વન સહિતનાં સુરેન્દ્રનગર-
વઢવાણ-દૂધરેજ નગરપાલિકામાં થયેલ પ્રજાલક્ષી કાર્યો અંગે માહિતી આપી હતી.
કાર્યક્રમમાં સ્વાગત કલેકટરશ્રી કે.સી. સંપટ તથા આભારવિધી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન મકવાણા દ્વારા કરવામાં આવી હતી.
આ તકે ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખશ્રી કલ્પનાબેન રાવલ, અગ્રણીસર્વશ્રી, શ્રી જગદીશભાઈ મકવાણા, સુશ્રી વર્ષાબેન
દોશી, શ્રી શંકરભાઈ વેગડ, શ્રી હિતેન્દ્રભાઈ ચૌહાણ, શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી જયેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો
તેમજ મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.
ચોટીલાનો ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા તાકીદ